સુરતમાં બિસ્માર બનેલા 300થી વધુ ફ્લેટને જમીનદોસ્ત કરાયા

સુરતમાં બિસ્માર બનેલા 300થી વધુ ફ્લેટને જમીનદોસ્ત કરાયા

સુરત

સુરતમાં રિંગરોડ પર આવેલા જર્જરિત માનદરવાજા ટેનામેન્ટ પૈકીના 320 ફ્લેટ્સને આજે જમીન દોસ્ત કરવાની કાર્યવાહી મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્રણ વર્ષ પૂર્વે જ લિંબાયત ઝોન દ્વારા જર્જરિત થઈ ચુકેલા માન દરવાજા ટેનામેન્ટ્સના આ ફ્લેટને સીલ કરવામાં આવ્યા હતા. જો કે, કેટલાક તત્વો દ્વારા આ ઈમારતોનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ખાણી પીણીની લારીઓ મુકીને દબાણ ઉભું કરવામાં આવતાં ગમે ત્યારે અકસ્માતની ભીતિ હતી. ચોમાસામાં કોઈ બનાવ નહીં બને તે માટે અગમચેતી દાખવી ગુરુવારે સવારથી જ લિંબાયત ઝોન દ્વારા આ ઈમારતોનું ડિમોલીશન શરૂ કરી દીધું હતું.

માન દરવાજા ટેનામેન્ટ રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છેલ્લા પાંચ વર્ષથી અધ્ધરતાલ છે. છ-છ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં કોઈ એજન્સી આ ટેનામેન્ટનાં રી-ડેવલપમેન્ટ માટે રસ દાખવી રહી હોય તેવું જણાતું નથી. બીજી તરફ મહાનગર પાલિકા દ્વારા જર્જરિત થઈ ગયેલી ટેનામેન્ટની મોટા ભાગની ઈમારતોમાંથી સ્થાનિકોનું સ્થળાંતર કરીને ત્રણ વર્ષ પૂર્વે જ સીલિંગ કાર્યવાહી હાથ ધરી હતી. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી આ ઈમારતોમાં ખાણી પીણીની લારીઓનું દબાણ ઉભું થઈ જતાં જોખમી સ્થિતિ આકાર લઈ રહી હતી. અત્યંત બિસ્માર હાલતમાં ઉભેલી આ ઈમારતોમાં આ પ્રકારના દબાણોને પગલે ગમે ત્યારે ચોમાસામાં અકસ્માતની શક્યતાઓને કારણે અંતે મહાનગર પાલિકાના લિંબાયત ઝોન દ્વારા ડિમોલીશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટેનામેન્ટમાં આવેલી એ – ટાઈપની 5 બિલ્ડિંગનું અંદાજે 15 હજાર સ્કવેર ફુટ બાંધકામ જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *